‘આજે 5 લોકો મરશે…’ અમેઠીમાં 4 લોકોના હત્યાકાંડના આરોપીનું WhatsApp Status વાયરલ

Ameth,તા.04

અમેઠીના શિવરતનગંજ વિસ્તારમાં પતિ, પત્ની અને બે દીકરીઓની ગોળી મારીને હત્યા કરવાના કેસના આરોપી ચંદન વર્માને શોધવામાં પોલીસ વ્યસ્ત છે. ત્યારે આ દરમિયાન ચંદન વર્માના વોટ્સએપ સ્ટેટસે સૌને ચોંકાવી દીધા છે. હકીકતમાં ચંદને સ્ટેટસમાં લખ્યું હતું કે ‘પાંચ લોકો મરવા જઈ રહ્યા છે, હું તમને જલ્દી બતાવીશ.’

મળતી માહિતી પ્રમાણે ગુનાને અંજામ આપ્યા બાદ ચંદન વર્મા પોતાને પણ ગોળી મારવા માંગતો હતો. કદાચ એટલે જ તેણે પોતાના સ્ટેટસ પર 5 લોકોની હત્યા વિશે લખ્યું હતું. હાલ પોલીસ ચંદનની શોધમાં વિવિધ જગ્યાએ દરોડા પાડી રહી છે. તમને જણાવી દઈએ કે, રાયબરેલી અને અમેઠી પોલીસની સંયુક્ત ટીમો દરોડા પાડી રહી છે.

પોલીસને શંકા છે કે ચંદને જ શિક્ષકના પરિવારની હત્યા કરી છે

પોલીસને અત્યાર સુધીની તપાસમાં મળેલી માહિતી મુજબ શંકા છે કે, રાયબરેલીના રહેવાસી ચંદન વર્મા જેનું નામ આ હત્યા કેસમાં છે, તેણે જ શિક્ષક અને તેના પરિવારની હત્યા કરી છે. ચંદન એકલો જ બુલેટ લઈને શિક્ષક સુનીલ કુમારના વિસ્તારમાં પહોંચ્યો હતો. ત્યારબાદ તેણે ઘટનાસ્થળથી લગભગ 20 મીટર દૂર બુલેટ પાર્ક કરી અને શિક્ષકના ઘરમાં ગયો હતો.

હત્યા કેસમાં શું બહાર આવ્યું?

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્થળ પરથી મળી આવેલ ખાલી મેગેઝિન ચંદન વર્માની પિસ્તોલના છે. જો કે, હાલમાં ચંદનના નજીકના સંબંધીઓની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. થોડા સમયમાં ચંદનની ધરપકડ કરી પોલીસ આ કેસનો ભેદ ઉકેલશે.

ચંદન વર્માએ ચાર લોકોની હત્યામાં અનેક રાઉન્ડ ગોળીઓ ચલાવી હતી, જેના શેલ ઘટનાસ્થળેથી મળી આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે શિક્ષકને એક ગોળી વાગી હતી જ્યારે પત્નીને બે ગોળી વાગી હતી. તો એક-એક ગોળી બાળકોને વાગી હતી.

કોણ છે ચંદન વર્મા જેનું નામ મર્ડર કેસમાં સામે આવ્યું હતું?

થોડા દિવસો પહેલા મૃતક સુનીલ કુમારની પત્ની પૂનમ ભારતીએ રાયબરેલીમાં ચંદન વર્મા વિરુદ્ધ છેડતી, મારપીટ અને એસસી-એસટી ઍક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો. એ પછી પોલીસે ચંદન વર્માની ધરપકડ કરીને જેલમાં નાખ્યો હતો. જેથી તેનો બદલો લેવા સુનીલ કુમાર અને તેના પરિવારને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે, ત્યારે પોલીસ ચંદનના એંગલથી પણ કેસની તપાસ કરી રહી છે.

શું છે સમગ્ર કેસની હકીકત 

ચંદન રાયબરેલીના તિલિયા કોટ વિસ્તારમાં ભાડેથી રહેતો હતો. જે દિવસે સુનીલની પત્ની પૂનમે ચંદન પર આરોપ લગાવ્યા તેના બીજા જ દિવસે પોલીસે તેની ધરપકડ કરી હતી. હકીકતમાં મૃતક સુનીલ કુમારની પત્ની પૂનમ ભારતીએ ચંદન પર આરોપ લગાવ્યો હતો કે 18 ઑગસ્ટના રોજ તે પોતાના બાળકો માટે દવા લેવા ગઈ હતી. ત્યારે ચંદને તેની સામે અશ્લીલ હરકતો કરતો હતો, જ્યારે તેણે વિરોધ કર્યો તો ચંદને તેને અને તેના પતિને માર માર્યો. તે વખતે તેણે અપશબ્દો બોલ્યા અને જાતિ સંબંધી અપશબ્દો બોલ્યો હતો.

Leave a Comment