Vishwakarma Yojana અંતર્ગત બેસ્ટ પ્રોજેકટ રીપોર્ટ તેમજ શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી બદલ

Rajkot, તા.૩

આત્મીય યુનિવર્સિટી, સ્કૂલ ઓફ ડિપ્લોમાં સ્ટડીઝ સિવિલ એન્જિનિયરીંગના ૧૩ વિદ્યાર્થીઓએ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જી.ટી.યુ.)ની વિશ્વકર્મા યોજના હેઠળ પ્રાંતના જુદાજુદા ગામોનો અભ્યાસ કરી ગ્રામ વિકાસ અહેવાલ તૈયાર કર્યો હતો. તેમજ આ વિષયક ડોક્યુમેન્ટ્રી પણ તૈયાર કરી હતી. વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન આ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક જી.ટી.યુ.માં આ પ્રોજેકટનું સબમીશન કરાવ્યું હતુ. જેમાં વિદ્યાર્થી દીઠ ૧૯૫૦૦ જેટલુ સ્ટાઈપેન્ડ આપવામાં આવ્યું હતુ.

આ જ વર્ષ દરમિયાન ડિપ્લોમાં સિવિલ એન્જીનીયરીંગના પ્રતિભાશાળી વિદ્યાર્થી કહાન પટેલ અને મોહિત વાઢેરની ટીમે વિશ્વકર્મા યોજના અંતર્ગત પ્રોજેકટ તરીકે રાજકોટ જિલ્લામાં આવેલા કોઠારીયા ગામનું સર્વેક્ષણ કર્યું હતુ અને કોઠારીયા ગામ પર સુવિધા શહર કી, આત્મા ગાંવ કી। ટાઈટલ હેઠળ રિપોર્ટ તેમજ તેના પર ડોકયુમેન્ટરી બનાવી આ પ્રોજેકટ પૂરો કરી સબમિટ કર્યો હતો. આ વિદ્યાર્થીઓની અથાગ મહેનતના ફળસ્વરૂપે વિશ્વકર્મા યોજનાના દસમાં ફેઝમાં તેઓનો પ્રોજેકટ સિલેકટ થયો હતો.

તા.૨૪ સપ્ટેમ્બર-૨૦૨૪ ના રોજ મુખ્ય અતિથિ તરીકે ગુજરાત બિન-અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગરના મેનેજિંગ ડિરેકટર (આઈ.એ.એસ.અધિકારી) પરાગ ભગદેવ, જી.ટી.યુ.ના વાઈસ ચાન્સેલર ડો.રાજુલ કે.ગજ્જર, રજીસ્ટ્રાર ડો.કે.એન.ખેર અને વિશ્વકર્મા યોજનાના માનદ ડાયરેકટર ડો.જયેશ દેશકરની ઉપસ્થિતિમાં દસમાં ફેઝમાં સિલેકટ થયેલ ટીમને શ્રેષ્ઠ ડોકયુમેન્ટરી માટે પ્રથમ ક્રમ તથા શ્રેષ્ઠ ગામ વિકાસ રિપોર્ટ માટે ત્રીજા ક્રમે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમજ આત્મીય યુનિવર્સિટીના પ્રો.ખેમેન્દ્ર દત્તાણી આ પ્રોજેકટ માટે શ્રેષ્ઠ નોડલ અધિકારી તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્ય કક્ષાની આ સિદ્ધિથી ડિપ્લોમાં સિવિલ એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ માટે આ ક્ષણ ગૌરવપૂર્ણ બની હતી.

આત્મીય યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ત્યાગવલ્લભ સ્વામી, વાઈસ ચાન્સેલર, ડો.શિવ ત્રિપાઠી તેમજ એન્જી.વિભાગના માર્ગદર્શન હેઠળ ડિપ્લોમાં સિવિલ ડિપાર્ટમેન્ટના એચ.ઓ.ડી. પ્રો.ખેમેન્દ્ર રાજેન્દ્રભાઈ દત્તાણી, તમામ ફેકલ્ટી સભ્યો તેમજ વિદ્યાર્થીમિત્રોએ આ પ્રસંગે ખુશીની લાગણી વ્યકત કરી છે.

Leave a Comment