માધાપર નજીક બસ અને કાર વચ્ચે અકસ્માતમાં પેઢીના સંચાલકનું મોત નિપજ્યું હતું
Rajkot,તા.૦૧
અંજાર-ભુજ હાઈવે ઉપર ખાનગી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલક વેપારી યુવકનું મોત નીપજ્યું હતું. જે અકસ્માત કેસમાં મૃતક વેપારીના પરિવારને રૂ.૯૩ લાખનું વળતર ચુકવવા રાજકોટની ટ્રીબ્યુનલ કોર્ટે હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ ભુજના માઘાપરમાં રહેતા અને માઘાપર ખાતે “પાવન ફુટ” નામની પેઢી ચલાવીને પોતાના પરીવારનું ગુજરાન ચલાવતા કનૈયાલાલ દીલીપભાઈ ઠકકર (ઉ.વ.૩૨)તા. ૦૧/૦૩/૨૦૧૮ ના રોજ કાર લઈને જતા હતા. ત્યારે અંજારથી ભુજ જતા હાઈવે રોડ ઉપર રતનાલ તરફ ભુંગીયા પુલ પાસે ખાનગી બસ નં. જીજે-૧૨-ટી – ૪૪૯૮ ના ચાલકે અકસ્માત સર્જેલા અકસ્માતમાં કનૈયાલાલ ઠકકરનું મોત નીપજ્યું હતું. જે અંગે અંજાર પોલીસ સ્ટેશનમાં બસના ચાલક વીરૂધ્ધ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં મૃતકના વારસદારોએ રાજકોટના યુવા એડવોકેટ રાજેન્દ્ર પી. ડોરી (પટેલ) મારફત રાજકોટની ટ્રીબ્યુનલમાં વળતર મેળવવા માટે મોટર વ્હીકલ એકટ હેઠળ કલેઈમ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ ચાલવા ઉપર આવતા અરજદારોના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને રજુ રાખવામાં આવેલ પુરાવા ગ્રાહ્ય રાખી ટ્રીબ્યુનલે વ્યાજ, ખર્ચ સહીત રૂા.૯૩ લાખનું વળતર મંજુર કરી બસની વીમા કંપની ઘી ન્યુ ઈન્ડીયા ઈન્શ્યોરન્સ કંપની લી.ને ચુકવવા હુકમ કરવામાં આવ્યો છે.