Thailand,તા.01
થાઈલેન્ડના બેંગકોંગમાં 44 લોકોને લઈ જતી સ્કૂલ બસમાં આગ લાગતાં મોટી દુર્ઘટના ઘટી છે. જેના લીધે 25 બાળકોના મોત નીપજ્યા હોવાની આશંકા છે. મૃત્યુ આંકડો વધવાની શક્યતા છે.
મંગળવારે બસ કેન્દ્રીય ઉથાઈ થાની પ્રાંતમાંથી અયુથયા જઈ રહી હતી, ત્યારે બપોરે 2 વાગ્યાની આસપાસ પથુમ થાનીમાંથી પસાર થતી વખતે બસના આગળના હિસ્સામાં આગ લાગી હતી. આગ એટલી ભયજનક હતી કે, બચાવ કામગીરી કરી રહેલા લોકોને બસમાં પ્રવેશવા મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
16 લોકોનો આબાદ બચાવ
આ દુર્ઘટના સમયે ત્રણ શિક્ષકો અને 16 બાળકો બહાર નીકળવામાં સફળ રહ્યા હોવાનું મીડિયા રિપોર્ટ્સ પરથી જાણવા મળ્યું છે. જો કે, તેમને નાની-મોટી ઈજાઓ થઈ છે. ડ્રાઈવર પણ બચી ગયો હતો. પરંતુ તે ઘટનાથી ડરી જતાં ભાગી ગયો હતો. પરિવહન મંત્રી સૂર્યા જુંગરૂંગરૂંગકિટે જણાવ્યું કે, મંગળવારે બસ કેન્દ્રીય ઉથાઈ થાનીમાંથી વિદ્યાર્થોને અયુથયાની ટૂર પર લઈ જઈ રહી હતી. ત્યારે તેમાં અચાનક ટાયર ફાટતાં આગ લાગી હોવાનું પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે. હજી વાસ્તવિક કારણ જાણવા મળ્યું નથી.
પીડિત પરિવારોને વળતર આપશે
થાઈલેન્ડના વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ લખી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવાં અને તમામ ખર્ચની વ્યવસ્થા કરવામાં આવી છે અને મૃતકોના પરિવારોને વળતર પણ આપશે.