Jagannathpuri જઈ રહેલા શ્રદ્ધાળુઓની બસ ૨૦ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી

રાત્રે લગભગ ૧ વાગે નેશનલ હાઈવે ૬૦ પર સંતુલન ગુમાવી દેતા બસ પલટી :૨૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ

Balasore, તા.૨૮

ઓડિશાના બાલાસોર જિલ્લામાં ઉત્તર પ્રદેશના ૫૭ શ્રદ્ધાળુઓ જગન્નાથ મહાપ્રભુના દર્શન માટે પુરી જઈ રહ્યા હતા. જેમાં બસ નેશનલ હાઈવે ૬૦ પર બેલેન્સ ગુમાવી ૨૦ ફૂટ નીચે પડી હતી. આ દુર્ઘટનામાં ૧૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તો ચાર લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં મૃતકોની ઓળખ થઈ ગઈ છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

૧૮ માર્ચે ઉત્તર પ્રદેશના ૫૭ શ્રદ્ધાળુઓ જગન્નાથ મહાપ્રભુના દર્શન કરવા માટે ’કૃષ્ણ’ નામની બસમાં પુરી જવા નીકળ્યા હતા. જેમાં બસ રાત્રે કોલકાતાથી પુરી જવા રવાના થઈ હતી. આ બસ રાત્રે લગભગ ૧ વાગે નેશનલ હાઈવે ૬૦ પર સંતુલન ગુમાવી દેતા નેશનલ હાઈવેથી ૨૦ ફૂટ નીચે પલટી ગઈ.

અકસ્માતની માહિતી મળતાં જ નેશનલ હાઈવે પેટ્રોલિંગ વાન, જળેશ્વર પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. ૨૩ ઘાયલ લોકોને તાત્કાલિક બસમાંથી બહાર કાઢીને પહેલા અકસ્માત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી ૧૬ની તબિયત બગડતાં તેમને બાલાસોર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જેમાં ત્રણ પુરુષ અને એક મહિલા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે બાલાસોર મોકલવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ રાજેશ કુમાર મિશ્રા, કમલા દેવી યાદવ, રાજ પ્રસાદ યાદવ અને શાંતારામ યાદવ તરીકે થઈ છે. આ ઉપરાંત જે મુસાફરો સ્વસ્થ છે તેમને તેમના ઘરે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

 

Leave a Comment