અંધારાનો લાભ લઇ નાસી છૂટેલા ફૈઝાન જાવિદ ડેલા અને અદનાન ધાડાની શોધખોળ
એલસીબી ઝોન-1 પીએસઆઈ બી વી બોરીસાગરની ટીમનો દરોડો
RAJKOT,તા.૨૩
યુવાધનને નશાના કાળા અંધારામાં ધકેલવાના વધુ એક ષડયંત્રનો પર્દાફાશ થયો છે. સુરતથી 3.896 કિલો ગાંજો લઈને આવેલા રાહીલ મીનાપરા અને અલી અહેમદ નકાણીને રાજકોટ શહેર એલસીબી ઝોન-1 પીએસઆઈ બી વી બોરીસાગરની ટીમે બંને શખ્સોને માલીયાસણ નજીકથી ઝડપી લીધા હતા. જયારે કારમાં હાજર ફૈઝાન ડેલા અને અદનાન ધાડા અંધારાનો લાભ લઇ નાસી ગયાં હતા. ત્યારે આ બંને ભાગેડુઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. એલસીબી ઝોન-1ના પીએસઆઇ બી.વી.બોરીસાગર સહિતની ટીમ શનિવારે મધરાત્રે સાડા ત્રણ વાગ્યાના અરસામાં માલિયાસણ ચોકડી નજીક વાહન ચેકિંગ કરી રહ્યા હતા. ત્યારે કુવાડવા તરફથી બ્લૂ કલરની કાર આવતા પીએસઆઇ બોરીસાગરે તેને અટકાવવા હાથ ઊંચો કર્યો હતો. પોલીસને જોતા જ ચાલકે કારની સ્પીડ વધારી દીધી હતી આથી આગળ જતા ડિવાઈડર સાથે અથડાઈને ઊભી રહી ગઈ હતી.
કાર ઊભી રહી જતાં કારના પાછળના ભાગે બેઠેલા બે શખ્સ નીચે ઉતર્યા હતા અને દોડીને નાસી ગયા હતા. જ્યારે પોલીસની ટીમે કારને કોર્ડન કરી કારમાં બેઠેલા ઘનશ્યામનગરના રાહિલ અમીન મીનાપરા અને અંકુરનગર મેઇન રોડ પરના અલીઅહેમદ હનિફ નકાણીને સકંજામાં લીધા હતા. પોલીસે તપાસ કરતાં કારના પાછળના ભાગેથી બે કોથળીમાંથી રૂ.38,960ની કિંમતનો 3 કિલો 896 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો, ત્રણ મોબાઇલ અને કાર સહિત કુલ રૂ.5,01,130નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે ઝડપાયેલા રાહિલ અને અલીઅહેમદની આગવી ઢબે પૂછપરછ કરતાં બંનેએ કારમાંથી નાસી છૂટેલા શખ્સો સુમરા સોસાયટીના ફૈઝાન જાવિદ ડેલા અને અદનાન ધાડા હોવાની કેફિયત આપી હતી. ચારેય ઇસમો કાર ભાડે લઇને સુરત ગયા હતા અને સુરતમાં રેલવેના પાટા નજીક માદક પદાર્થનું વેચાણ કરતાં ઓરિસ્સાના રાકેશ પાસેથી ગાંજો ખરીદ કર્યાની કબૂલાત આપી હતી.