New Delhi,તા.22
આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. આ દરમિયાન વિપક્ષ NEET પેપર લીક, રેલ્વે સુરક્ષા અને કાંવડ યાત્રાને લઈને યુપી સરકારના નિર્ણય સહિત ઘણા મુદ્દા ઉઠાવવાની તૈયારીમાં છે. આવતીકાલે સંસદમાં બજેટ રજૂ થવાનું છે. આ પહેલા આજે (22 જુલાઈ) નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે.
સંસદમાં રજૂ થશે મહત્ત્વપૂર્ણ બિલ
આજથી શરૂ થયેલું સંસદ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે. તેમાં કુલ 19 બેઠકો યોજાવાની છે. આ સમયગાળા દરમિયાન સરકાર 6 બિલ રજૂ કરે તેવી ધારણા છે. જેમાં 90 વર્ષ જૂના એરક્રાફ્ટ એક્ટને બદલવાનું બિલ અને જમ્મુ-કાશ્મીરના બજેટ માટે સંસદની મંજૂરીનો પણ સમાવેશ થાય છે. બિલની રજૂઆત દરમિયાન વિપક્ષ તરફથી હોબાળો પણ જોવા મળી શકે છે.
નિર્મલા સીતારમણે રજૂ કર્યો આર્થિક સરવે
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આર્થિક સરવે રજૂ કર્યો. આ દરમિયાન તેમણે કહ્યું કે વેપારમાં સુગમતા લાવવા માટે અનેક પગલાં લેવાયા છે. જવાબમાં આશરે 11 પગલાંનો તેમણે ઉલ્લેખ પણ કર્યો પણ સૌથી મહત્ત્વપૂર્ણ 63 ક્રાઈમને અપરાધમુક્ત કરવું છે. જેના પરિણામ સ્વરૂપે આજે કંપનીઓ અનુપાલનની ચિંતા વિના કામ કરી શકી રહી છે. એક કેન્દ્રીય પ્રોસેસિંગ સિસ્ટમ પણ સ્થાપિત કરાઈ છે.
અખિલેશ યાદવે NEET પેપર લીક મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા
NEET પરીક્ષા મુદ્દે સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવે કહ્યું, “આ સરકાર પેપર લીકનો પણ રેકોર્ડ બનાવશે. કેટલાક કેન્દ્રો એવા છે જ્યાં 2,000થી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યાં સુધી આ મંત્રી (શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન) છે ત્યાં સુધી, વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે”
તમારી પાસે પૈસા હોય તો એક્ઝામ સિસ્ટમ ખરીદી શકો છો : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ આક્રમક અંદાજમાં કહ્યું કે મુદ્દો એ છે કે દેશમાં લાખો વિદ્યાર્થીઓ છે. જે એ વાતથી ચિંતિત છે કે શું થઈ રહ્યું છે અને તેમને વિશ્વાસ છે કે ભારતની એક્ઝામ સિસ્ટમ એક દગા સમાન બની ગઈ છે. લાખો લોકો હવે એવું માને છે કે જો તમે ધનિક છો અને તમારી પાસે પૈસા છે તો તમે ભારતની આ એક્ઝામ સિસ્ટમને ખરીદી શકો છો. વિપક્ષ પણ આવુ જ વિચારે છે.
રાહુલે ધર્મેન્દ્ર પ્રધાનને ઘેર્યા
રાહુલ ગાંધીએ કહ્યું કે સમગ્ર દેશ સામે સ્પષ્ટ છે કે આપણી શિક્ષણ પ્રણાલીમાં ગંભીર ખામી છે. ફક્ત NEETમાં જ નહીં પણ તમામ મુખ્ય પરીક્ષાઓમાં ગરબડ થઈ રહી છે. મંત્રી (ધર્મેન્દ્ર પ્રધાન)એ પોતાના સિવાય બધાને દોષિત ઠેરવ્યા છે. મને નથી લાગતું કે અહીં જે કંઈ થઈ રહ્યું છે તે એના મૂળ સિદ્ધાંતોને પણ સમજે છે.
ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું- પેપર લીક અંગે કોઈ પુરાવા નથી
NEET પેપર લીક મામલે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. તેનો જવાબ આપતાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, ‘છેલ્લા સાત વર્ષમાં પેપર લીક અંગે કોઈ પુરાવા નથી. આ કેસ પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. ચીફ જસ્ટિસ તેના પર સુનાવણી કરી રહ્યા છે. NTA પછી 240 પરીક્ષાઓ થઈ છે. 5 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી અને 4.5 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન તદ્દન ખોટું છે. તેમણે સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ પર સવાલ ન ઊઠાવવા જોઈએ. પેપર લીક થયાના કોઈ પુરાવા નથી. હાં હું એ વાત સ્વીકારું છે કે અમુક જગ્યાએ ગરબડ થઈ છે.
રાહુલ ગાંધીએ પેપર લીક મામલે ઊઠાવ્યાં સવાલો
લોકસભામાં બજેટ સત્રની શરૂઆતમાં જ ભારે હોબાળાની સ્થિતિ જોવા મળી. NEET પેપર લીક મામલે સરકારને ઘેરવાનું શરૂ કરતાં વિપક્ષ વતી રાહુલ ગાંધીએ મોરચો સંભાળ્યો. તેમણે સરકારને તીખાં સવાલો પૂછ્યાં હતા. રાહુલે કહ્યું કે સરકાર જણાવે કે તે પેપર લીકને રોકવા માટે શું કરી રહી છે? લાખો બાળકોના ભવિષ્ય માટે આ સવાલ છે. પરીક્ષા વ્યવસ્થામાં મોટાપાયે ગરબડ થઈ રહી છે. પૈસાના જોરે પરીક્ષાનો સોદો થતો હોય તેવું દેખાય છે.
140 કરોડ દેશવાસીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ
વિપક્ષ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું, ‘નવી સંસદની રચના બાદ સંસદના પ્રથમ સત્રમાં વિપક્ષે જોરદાર હોબાળો કર્યો. જે સરકારને 140 કરોડ દેશવાસીઓએ બહુમતી સાથે સેવા કરવાનો આદેશ આપ્યો હતો. તેમનો અવાજ દબાવવાનો અલોકતાંત્રિક પ્રયાસ કરવામાં આવ્યો હતો. અઢી કલાક સુધી દેશના વડાપ્રધાનને રોકવા અને તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સરકારે બેરોજગારી, ગરીબ-નબળા વર્ગ પર ફોકસ કરવુ જોઈએઃ કોંગ્રેસ સાંસદ
કોંગ્રેસ સાંસદ મણિકમ ટાગોરે જણાવ્યું હતું કે, બજેટ 2024, આર્થિક સર્વેક્ષણમાં સીતારમણે બેરોજગારી, ફુગાવો અને અસમાનતા વિશે ચોક્કસપણે સંબોધિત કરવું જોઈએ. છેલ્લા દસ વર્ષથી સરકાર સામાન્ય નાગરિકને અવગણતી આવી છે. આપણે અમુક એવા બજેટ પણ જોયા છે કે, તે માત્ર સુપર રિચને સમર્થન આપે છે. મધ્યમ અને ગરીબ વર્ગ પર ફોકસ કરતી નથી.
સરકારની ગેરન્ટીને હકીકત બનાવવી એ અમારું લક્ષ્ય : પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ બજેટ સત્ર પહેલા સંસદ પરિસરની બહાર મીડિયાને સંબોધતા કહ્યું હતું કે સરકારની ગેરન્ટીને હકીકત બનાવવી એ જ અમારું લક્ષ્ય છે. તમામ રાજકીય પક્ષોને મારી અપીલ છે કે તેઓ પક્ષ માટે નહીં પણ દેશ માટે કામ કરે અને સંસદના બંને ગૃહ સારી રીતે કામ કરે તે માટે સાથે મળીને કામ કરે.