Bihar,તા.22
બિહારના ભોજપુર જિલ્લામાં ગુરુવારે થયેલી માર્ગ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા. જેમાં બે મહિલાઓ પણ સામેલ હતી. તમામ કાર સવાર માતા વિંધ્યવાસિનીના દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાં. મામલો ગજરાજગંજ વિસ્તારનો છે. કાર સવાર તમામ લોકો વિંધ્યાચલથી માતા વિંધ્યવાસિની દેવીના દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાં. ત્યારે તેમની કાર અચાનક ડિવાઈડર સાથે ટકરાઈ ગઈ. ઘટનાના સમયે કારમાં લગભગ સાત લોકો સવાર હતાં. તેમાંથી પાંચ લોકોના મોત નીપજ્યાં જ્યારે બે અન્ય લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા.
કારને નુકસાન
પોલીસના જણાવ્યા અનુસાર ભોજપુર જિલ્લાના કમરિયા ગામના સાત લોકો મહિન્દ્રા એસયુવી કારથી વિંધ્યાચલ માતાના દર્શન કરવા માટે ગયા હતાં. ગુરુવારની સવારે આ તમામ લોકો પાછા ફર્યાં હતાં. આ દરમિયાન આરા-બક્સર ફોરલેન પર બીબીગંજ નજીક કાર ડ્રાઈવરનું નિયંત્રણ વાહનથી હટી ગયુ અને તે રસ્તાની વચ્ચે ડિવાઈડર સાથે ટકરાયું. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં કારને સંપૂર્ણ નુકસાન થયું છે.
એક જ પરિવારના 5 સભ્યોના મોત
તમામ મૃતક અને ઈજાગ્રસ્ત અજીમાબાદ વિસ્તારના કમરિયાંવ ગામના રહેવાસી છે. એક જ પરિવારના આ લોકો વર્તમાનમાં પટના બેલી રોડ સ્થિત પોતાના મકાનમાં રહે છે. મૃતકોમાં માતા-પિતા, ભાઈ-બહેન અને એક માસૂમ બાળકનું મોત નીપજ્યું, જ્યારે ઘરની પુત્રવધૂ અને એક બાળકી ઈજાગ્રસ્ત છે. બંનેને આરા સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં ભૂપ નારાયણસ (56), રેણુ દેવી (50), વિપુલ પાઠક (28) વર્ષ લગભગ, અર્પિતા પાઠક (25) અને હર્ષ પાઠક (3) સામેલ છે.
સવારે 6 વાગે દુર્ઘટના ઘટી
ગજરાજગંજના પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટના ગુરુવારે સવારે લગભગ છ વાગ્યાની છે. દુર્ઘટનામાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા, જ્યારે બે અન્ય લોકો ખરાબ રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા. બંને ઈજાગ્રસ્તોની સારવાર માટે સ્થાનિક એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તની સ્થિતિ પણ ગંભીર છે. મૃતકોમાં ત્રણ પુરુષ અને બે મહિલાઓ સામેલ છે. પોલીસે તમામ મૃતદેહોને પોતાના કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધાં છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ડ્રાઈવરને ઝોકું આવી ગયું હશે જેના કારણે આ અકસ્માત થયો. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.