Rajkot નાં 8 સહિત સૌરાષ્ટ્રનાં 31 ડેમો ઓવરફલો

24 કલાકમાં વધુ 22 ડેમોમાં 0.5 થી 6.5 ફુટ નવા નીરની આવક : રાજકોટ જિલ્લાનાં 27 ડેમોમાં 50 ટકાથી વધુ જળસંગ્રહ થઇ ગયો

Rajkot , તા.24
છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા સૌરાષ્ટ્ર ઉપર મહેરબાન થયા છે અને સતત ધોધમાર વરસી રહ્યા છે. આથી જળાશયોમાં પણ પ્રચંડ રીતે નવા નીરની આવક થઇ રહી છે. સૌરાષ્ટ્રનાં 83 પૈકી 31 ડેમો ઓવરફલો થઇ રહ્યા છે.

આ અંગેની સિંચાઇ વિભાગનાં સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રાજકોટ જિલ્લાનાં મોજ, ફોફળ, વેણુ-2, આજી-2, સોડવદર, ન્યારી-2 અને ભાદર-2 સહિત કુલ 8 ડેમો ઓવરફલો થઇ ગયા છે.

જયારે મોરબીનો મચ્છુ-3 અને જામનગર જિલ્લાના સસોઇ, પન્ના, ફુલઝર-1 અને 2, ડાઇમીણસર, ઉંડ-3, વાડીસંગ, ફુલઝર (કોબા), રૂપારેલ અને ઉમીયાસાગર સહિત 10 ડેમો ઓવરફલો થઇ રહ્યા છે.

આ ઉપરાંત દ્વારકા જિલ્લાનાં પણ એક ડઝન પૈકી 11 ડેમો ઓવરફલો થઇ રહ્યા છે. જેમાં ધી, વર્તુ-1, ગઢકી, વર્તુ-2, સોનમતી, શેઢા ભાડથરી, વેરાડી-1, સિંધણી, કાબરકા, વેરાડી-2 અને મીણસર (વાનાવડ)નો સમાવેશ થાય છે. દરમ્યાન છેલ્લા 24 કલાક દરમ્યાન પણ રાજકોટ જિલ્લાનાં 8 સહિત સૌરાષ્ટ્રનાં 22 ડેમોમાં 0.5 થી 6.5ફુટ સુધીનાં નવા નીરની આવક થઇ છે.

જેમાં ભાદર-1માં 0.5 ફુટ, આજી-1માં 0.13 ફુટ, આજી-3માં 0.5 ફુટ, સોડવદરમાં 2 ફુટ, સુરવોમાં સવા ફુટ, ન્યારી-2માં 0.5 ફુટ અને છાપરવાડી-2માં દોઢ ફુટ નવા નીરની આવક થવા પામી છે.

આ ઉપરાંત મોરબી જિલ્લાનાં મચ્છુ-2માં 0.16, ડેમી-1માં પોણો ફુટ અને ડેમી-2માં 0.16 ફુટ નવા નીરની  આવક થવા પામી છે. જયારે જામનગર જિલ્લાનાં સાત ડેમોમાં પણ નવા નીર આવ્યા છે.

જેમાં વિજરખીમાં 2 ફુટ, ફોફળ-2માં 0.30, ઉંડ-1માં 1.12 ફુટ, કંકાવટીમાં પોણા ત્રણ ફુટ, ઉંડ-2માં 0.33 ફુટ તથા ફુલઝર (કોબા)માં બે ફુટ અને રૂપાવટીમાં દોઢ ફુટ નવા નીરની આવક થવા પામી છે. તેમજ દ્વારકા જિલ્લાનાં ચાર ડેમોમાં નવા નીર આવ્યા છે. જેમાં ઘી ડેમમાં 1 ફુટ, વર્તુ-2માં એક ફુટ, વેરાડી-1માં  ર.13 ફુટ અને વેરાડી-2માં 6.46 ફુટ નવા નીરની આવક થવા પામી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાનાં 27 ડેમોમાં આજ સુધીમાં 50 ટકાથી વધુ નવા પાણીનો સંગ્રહ થઇ ગયો છે.

દેવભૂમિ દ્વારકાના ભાણવડનો વર્તુ 2 ડેમ ઓવરફલો, ડેમના 32 પૈકી 10 દરવાજા 1 ફુટ ખોલવામાં આવ્યા હતા.

નિચાણવાળા વિરતારોમા આવતા પોરબંદર અને  દેવભૂમિ દ્વારકા જીલ્લામાં 14 ગામને સાવચેત કરાયા હતા 

ઉમિયાસાગર ડેમ ઓવરફ્લો થતાં 8 દરવાજા 9 મીટર ખોલાયા
રાજકોટ જિલ્લાના હેઠવાસના ગામ લોકોને સાવચેત રહેવા સૂચના
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા પાસે આવેલ ઉમિયાસાગર ડેમ ઓવરફ્લો થતાં ડેમના 8 દરવાજા 9 મીટર ખોલવામાં આવ્યા છે,જેના હેઠવાસમાં આવતા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના રબારીકા,હરિયાસણ, ચારેલીયા, ખારચીયા અને રાજપરા ગામના લોકોને સાવચેત રહેવા તથા ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા જણાવવામાં આવ્યું છે.

ભાદર-2 ડેમના 4 દરવાજા 0.66 મીટર ખોલાયા:હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના 
રાજકોટ તા. 24 જુલાઈ – રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભાદર-2 ડેમના ઉપરવાસમાં સતત પાણીની આવક ચાલુ હોવાથી પાણીનું રૂલ લેવલ જાળવવા ડેમના 4 દરવાજા 0.66 મીટર ખોલવામાં આવ્યા છે, આથી ડેમના હેઠવાસ વિસ્તારમાં આવેલા ભોળા, ભલગામડા, છાડવાવદર, સુપેડી, ડૂમીયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, હાડફોડી, ઈસરા, કુંડેચ, લાઠી મજેઠી, લાઠી, નીલાખા અને તલંગાણા ગામોના નીલાખા ગામના લોકોને  નદીના પટમાં અવરજવર ન કરવા, માલ મિલકત તથા ઢોર-ઢાંખરને ન લઈ જવા તથા સાવચેત રહેવા રાજકોટ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરનીયાદીમાં જણાવાયું છે.

ન્યારી-2 ડેમનો 1 દરવાજો ખોલાયો:હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના 
રાજકોટ તા. 24 જુલાઈ – રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ન્યારી – 2 ડેમમાં 100 % પાણી ભરાયેલ હોવાથી ડેમનો એક દરવાજો 0.076 મીટરે ખોલવામાં આવ્યો છે. આથી  નદીના ઘટમાં આવેલા પડધરી તાલુકાના ગોવિંદપર, રામપર, તરઘડી,  વણપરી અને ખામટા ગામોના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા અને નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા રાજકોટ સિંચાઈ પુર વર્તુળ એકમની યાદીમાં જણાવ્યું છે.

પાનેલી નાની સિંચાઈ યોજના ઓવરફ્લો : ગ્રામ્ય વિસ્તારોમાં એલર્ટ
પાનેલી, હરિયાસણ, ખારચિયા, જાર તથા ચરેલિયા ગામ લોકોને સાવચેતી રાખવા સૂચના
પાનેલી નાની સિંચાઈ યોજના ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારના ગામ લોકોએ સાવચેતી રાખવાાસૂચના અપાઇ છે. પાનેલી નાની સિંચાઈ યોજનાની કુલ સપાટી 53.30 ફૂટ છે. હાલ ડેમની સપાટી 55.00 ફૂટ છે. જેથી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ પરથી 7496 ક્યુસેક પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો હોવાથી ડેમની નીચાણવાળા ગામો  પાનેલી, હરિયાસણ, ખારચિયા, જાર તથા ચરેલિયા ગામ લોકોએ નદીના પટમાં અવરજવર ન કરવા તથા સાવચેતીના પગલા લેવા નાયબ કાર્યપાલક ઇજનેર, પંચાયત સિંચાઇ પેટા વિભાગ, ઉપલેટા દ્વારા જણાવાયું છે.

Leave a Comment