Site icon Shri Nutan Saurashtra

300 ગામ ડૂબ્યા, 274થી વધુ સ્કૂલો બંધ, UP-Bihar સહિત દેશભરમાં વરસાદ-પૂરથી હાહાકાર

New Delhi,તા.19

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે હાહાકાર મચી ગયો છે અને જનજીવન ખોરવાઈ ગયું છે. યુપી સહિત ઘણા રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. બિહારમાં તો સ્થિતિ વધુ ખરાબ છે. અહીં પૂરના કારણે 274 સ્કૂલો બંધ કરવામાં આવી છે. જ્યારે 20 સ્કૂલો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગઈ છે. આથી બુધવારથી શરુ થતી પરીક્ષાને પૂરના કારણે હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે.

યુપીના લગભગ 300 ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે

યુપીના 24 જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. યુપીમાં ઘાઘરા, ગંડક, ગંગા, વરુણા નદી પૂરથી પ્રભાવિત થઈ છે. ગોંડા જિલ્લાના 35 ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. બીજી તરફ અયોધ્યામાં સરયુ નદીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. લખીમપુર ખેરીના ઘણા ગામોનો જિલ્લા મુખ્યાલય સાથે સંપર્ક તૂટી ગયો છે. યુપીના લગભગ 300 ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. પ્રયાગરાજ, ઇટાવા અને મિર્ઝાપુરમાં 8મી સુધીની શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.

હિમાચલમાં વરસાદને કારણે 50 રસ્તાઓ બંધ

હિમાચલ પ્રદેશમાં અવિરત વરસાદને કારણે બુધવારે 50 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થયો છે. હિમાચલમાં વરસાદને કારણે અત્યાર સુધીમાં 172 લોકોના મોત થયા છે, જ્યારે 30 લોકો હજુ પણ લાપતા છે. ઝારખંડ અને બંગાળના અનેક જિલ્લા પૂરની ઝપેટમાં છે. જ્યારે ઓડિશાના 250 ગામોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે.

દક્ષિણ બંગાળના ઘણા જિલ્લાઓમાં પૂરના કારણે સ્થિતિ વણસી

દક્ષિણ બંગાળના ઘણા જિલ્લાઓમાં પૂરના કારણે સ્થિતિ ખરાબ છે. અહીંના બેરેજ અને ડેમ પાણીથી ભરાઈ ગયા છે. અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ યથાવત્ છે. દામોદર વેલીમાં કૉર્પોરેશનના બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે આગામી 2-3 દિવસ સુધી સ્થિતિ ખરાબ રહેવાની સંભાવના છે.

Exit mobile version