અશ્વનીના નામે નકલી કંપની અને બેંક એકાઉન્ટ ખોલીને જીએસટીની ઈ-વે બિલિંગ છેતરપિંડી કરવામાં આવી
Muzaffarnagar,તા.૪
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં જીએસટી વિભાગના કર્મચારીઓ યુવકના ઘરે પહોંચ્યા અને દરવાજો ખટખટાવ્યો હતો. જ્યારે યુવક બહાર આવ્યો ત્યારે તેને કહેવામાં આવ્યું કે તેના નામે એક કંપની ચાલી રહી છે. તે કંપનીમાં આશરે રૂ. ૨૫૦ કરોડના જીએસટી ઈ-બિલિંગ વ્યવહારો થયા છે. આ સાંભળીને યુવકના હોશ ઉડી ગયા હતા.
મળતી માહિતી મુજબ, રતનપુરી પોલીસ સ્ટેશન વિસ્તારના બડસુ ગામમાં રહેતા એક બેરોજગાર યુવક અશ્વની કુમારને થોડા દિવસો પહેલા વોટ્સએપ પર કોલ આવ્યો હતો. કોલ પર નોકરીનો ઉલ્લેખ હતો. નોકરીની લાલચના કારણે અશ્વનીએ તેની પાસેથી માંગેલા દસ્તાવેજો વોટ્સએપ પર મોકલી આપ્યા હતા.
અશ્વનીનું કહેવું છે કે તેણે દસ્તાવેજો સાથે ૧૭૫૦ રૂપિયા મોકલ્યા હતા, પરંતુ તેને નોકરી ન મળી. હવે, અશ્વનીના નામે નકલી કંપની અને બેંક એકાઉન્ટ ખોલીને લગભગ રૂ. ૨૫૦ કરોડ જીએસટીની ઈ-વે બિલિંગ છેતરપિંડી કરવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે જીએસટી વિભાગ સાથે મળીને આ મામલે આગોતરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
એસપી ગ્રામીણ આદિત્ય બંસલે કહ્યું કે, આ રકમ કોઈ વ્યક્તિના ખાતામાં નથી આવી. રતનપુરીના રહેવાસી અશ્વની કુમારના દસ્તાવેજો તેને નોકરી અપાવવાના બહાને લઈ ગયા હતા અને તે દસ્તાવેજોના આધારે નકલી કંપની અને નકલી બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા, જેના દ્વારા જીએસટીઈ-વે બિલિંગની છેતરપિંડી કરવામાં આવી હતી. તેમાંથી લગભગ ૨૫૦ કરોડ રૂપિયાનું નકલી ઈ-વે બિલિંગ કરવામાં આવ્યું છે.
આ અંગે જીએસટી વિભાગ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. સાથે મળીને આગોતરા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.