Site icon Shri Nutan Saurashtra

Awami League leader’s hotel માં 24ને જીવતાં બાળી નાખ્યાં, બાંગ્લાદેશમાં મૃત્યુઆંક વધીને 440 થયો

Bangladesh,તા.07 

બાંગ્લાદેશના શેખ હસીનાની સરકારને હટાવવા થયેલા હિંસક આંદોલન અટકાવવાનું નામ લઈ રહ્યા નથી. ખાસ કરીને અવામી લીગના નેતાઓ અને લઘુમતી હિન્દુઓને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. મોટાપાયે હત્યાઓ થઈ રહી છે. ઢાકામાં અવામી લીગના એક નેતાની હોટલમાં આગચંપી કરતાં ત્યાં હાજર લગભગ 24 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે. જેમાં ઈન્ડોનેશિયાનો એક નાગરિક પણ સામેલ છે. જે આ હોટલમાં રોકાયો હતો.

સોમવારે મોડી રાત્રે ટોળાએ જોશોર જિલ્લામાં અવામી લીગના જનરલ સેક્રેટરી શાહીન ચક્કલદારની માલિકીની જબીર ઇન્ટરનેશનલ હોટલને આગ ચાંપી હતી, જેમાં 24 લોકો માર્યા ગયા હતા.

આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના લોકો હોટલમાં રોકાયા હતા. ઢાકાના એક સ્થાનિક પત્રકારે કહ્યું, ‘મૃતકોમાં એક ઈન્ડોનેશિયાનો નાગરિક પણ સામેલ છે.’ જોશોર જનરલ હોસ્પિટલના ડોકટરોએ પુષ્ટિ કરી છે કે તેઓએ 24 મૃતદેહો મળ્યા છે, જ્યારે બચી ગયેલા હોટલ સ્ટાફને ભય વ્યક્ત કર્યો છે કે, કાટમાળ નીચે વધુ મૃતદેહો હોઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અવામી લીગ સરકારનો વિરોધ કરતા રોષે ભરાયેલા ટોળાએ હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લગાવી હતી જે ઉપરના માળ સુધી ફેલાઈ હતી.

બાંગ્લાદેશમાં 400થી વધુ લોકોના મોત

બાંગ્લાદેશમાં આ હિંસક આંદોલનમાં અત્યારસુધી 400થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. જેમાં અવામી લીગના 20થી વધુ નેતાઓની હત્યા કરવામાં આવી છે. વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યા બાદ દેશ છોડી જતાં રહેતાં બાંગ્લાદેશમાં અરાજકતા ફેલાઈ છે. અત્યારસુધી 440 લોકોના મોત થયા છે. દેશમાં સેના આ સ્થિતિને નિયંત્રિત કરવાના પ્રયાસ કરી રહી છે.

ઢાકામાં સ્થિતિ થાળે પડી હોવાના અહેવાલ

સ્થાનિક મીડિયા અનુસાર, મંગળવારે સ્થિતિ સામાન્ય થઈ હોવાના સંકેત મળ્યા હતા. પોલીસ અને સેના માર્ગ પર ચુસ્ત બંદોબસ્ત કરી રહી છે. સોમવારે અશાંતિ બાદ મંગળવારે વહેલી સવારથી શાંતિ જોવા મળી છે. રસ્તાઓ પર જાહેર વાહનો અને બસો શરૂ થઈ છે. દુકાનદારોએ પોતાની દુકાન ખોલી છે.

પીએમ આવાસમાં અરાજકતા, કપડાં પણ ચોર્યા

બાંગ્લાદેશમાં સોમવારે અરાજકતા ફેલાઈ હતી. હસીનાના દેશ છોડવાના સમાચાર ફેલાતાંની સાથે જ સેંકડો લોકો તેમના ઘરમાં ઘૂસી ગયા અને તોડફોડ કરી લૂંટ ચલાવી હતી. વિરોધીઓએ રાજધાનીમાં હસીનાના નિવાસસ્થાન ‘સુધા સદન’ અને અન્ય સંસ્થાઓ પર હુમલો કર્યો અને તોડફોડ કરી આગ ચાંપી હતી. ઢાકા અને ઢાકાની બહાર હસીનાની અવામી લીગ સરકારના મંત્રીઓ, પાર્ટીના સાંસદો અને નેતાઓના રહેઠાણો અને વેપારી મથકોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. બદમાશોએ શેખ હસીનાના ઘરેથી કપડાં પણ ચોરી લીધા હતા.

Exit mobile version