Site icon Shri Nutan Saurashtra

૧ કરોડ યુવાનોને ૫૦૦ કંપનીઓમાં ૧ વર્ષની ઇન્ટર્નશીપ અપાશેઃ Mansukh Mandvia

Rajkot,તા.૧૬

કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા રાજકોટ આવ્યા હતા. જ્યાં પશ્ચિમના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જેવા કે મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, દમણ અને દીવ તથા દાદરા અને નગર હવેલી તથા લક્ષદ્વીપની ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી હતી.

આ કાર્યક્રમમાં પહોંચતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતુ કે, વર્તમાન બજેટ યુવાનોને રોજગારી માટેનું રહ્યું હતું. આગામી ૫ વર્ષમા ૨ લાખ કરોડ ઇન્વેસ્ટ કરીને ૪ કરોડ રોજગારીનું નિર્માણ કરવામા આવશે. જેમાં દેશનાં ૧ કરોડ યુવાનોને દેશની ૫૦૦ પ્રીમિયમ કંપનીઓમાં ૧ વર્ષ માટે ઇન્ટર્નશીપ આપવામાં આવશે. બેઠકમાં શ્રમ અને રોજગાર સચિવ સુમિતા દાવરા ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યુવાનોમાં કૌશલ્ય નિર્માણ માટે પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જેની સમીક્ષા આજે થવાની છે. ૧ કરોડ યુવાનો પ્રીમિયમ ઇન્સ્ટિટ્યુુટની અંદર ઇન્ટરશીપ કરે એટલે કે ત્યાં વર્લ્ડ ક્લાસ પ્રેક્ટિસ કરી શકે. તેઓ જ્યારે કંપનીમાં નોકરી કરવા માટે જશે ત્યારે ઇન્ટરનેશનલ કક્ષાનું વર્ક કલ્ચર ડેવલપ થશે. આ સાથે જ દેશના યુવાનોને રોજગારી માટે સિંગલ વિન્ડો સર્વિસ સિસ્ટમનો લાભ મળશે. જે માટે નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલનો પ્રારંભ કરવામાં આવેલો છે.

અત્યાર સુધીમાં ૩૦ લાખ કંપનીઓ આ પોર્ટલ ઉપર જોડાઇ છે. જેમાં કંપનીઓને જે પ્રકારની સ્કીલની જરૂરિયાત હોય તે બાબતની માહિતી અપલોડ કરે છે અને જે યુવાનો પાસે આ સ્કિલ હોય તેઓ તેમાં રજીસ્ટ્રેશન કરાવી તે કંપની સાથે જોડાઈ શકે છે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં લેબર રીફોર્મને લઈને સમીક્ષા બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. પશ્ચિમ ઝોનમાં આવેલા રાજ્યો આ કોન્ફરન્સના માધ્યમથી તેમના રાજ્યોનું પરફોર્મન્સ તેમજ તેમના રાજ્યોનો રીવ્યુ વગેરે માટે આજની બેઠક યોજવામાં આવી છે.

શ્રમ અને રોજગાર મંત્રાલયે આ બેઠકનું આયોજન ભારત સરકાર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા હાથ ધરવામાં આવેલી મુખ્ય પહેલો પર સહયોગને મજબૂત કરવા પર ચર્ચા કરવા માટે કરાયું હતું. જેમાં શ્રમ સુધારાઓ, અસંગઠિત કામદારો,મકાન અને અન્ય નિર્માણ કામદારો   પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તથા રોજગારીની તકો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.આ બેઠક ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે રાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી ચર્ચાવિચારણાની શ્રેણીનો એક ભાગ છે. જેની શરૂઆત બેંગાલુરુમાં કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, કેરળ, પુડુચેરી અને આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહોના દક્ષિણી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે પ્રથમ પ્રાદેશિક બેઠકના આયોજન સાથે થઈ હતી. આ પછી ચંદીગઢમાં પંજાબ, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને રાજસ્થાનના ઉત્તરીય રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે બીજી પ્રાદેશિક બેઠક યોજાઈ હતી.

Exit mobile version