Mumbai,તા,13
ચીન સપ્ટેમ્બર મહિનામાં જ ૫ ટ્રિલિયનથી વધુ બાકી ગીરો પરના વ્યાજ દરોમાં ઘટાડો કરવાની તૈયારી કરી રહ્યું છે. દેશમાં વપરાશ વધારવા માટે ઉધાર ખર્ચ ઘટાડીને લાખો પરિવારોને સપોર્ટ આપવાનો સરકારનો આશય છે તેમ બ્લૂમબર્ગે એક અહેવાલમાં જણાવ્યું છે.
વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં હાલ વિશ્વાસનો અભાવ છે. ચીનમાં હાલમાં ઘર ખરીદવા માટે નવી પ્રથમ લોન પર ૩.૨ ટકા વ્યાજ વસૂલવામાં આવે છે જ્યારે નવી બીજી લોન પર ૩.૫ ટકા વ્યાજ છે જ્યારે જૂની લોન પર હાલ મકાનમાલિકો ૪ ટકા સુધીનું વ્યાજ ભરી રહ્યાં છે.
કેટલીક બેંકો વ્યાજદર પર આગામી એડજસ્ટમેન્ટ માટે તૈયાર થવા માટે અંતિમ તૈયારીઓ કરી રહી છે. અમુક વર્ગના મકાનમાલિકોને ૫૦ બેસિસ પોઈન્ટ કાપનો લાભ પણ મળી શકે છે. સામાન્ય રીતે ચીનમાં વ્યાજદરમાં ફેરફાર જાન્યુઆરી મહિનામાં લેણદારો દ્વારા કરવામાં આવે છે. વર્તમાન ધિરાણકર્તાઓને નવી વાટાઘાટોમાં બે તબક્કામાં લગભગ ૮૦ બેસિસ પોઈન્ટનો ફાયદો મળી શકે છે.
ચીનની બાકી હાઉસિંગ લોનની મુદ્દલ રકમ જૂનના અંતે ત્રણ વર્ષમાં સૌથી ઓછી ૩૭.૭૯ ટ્રિલિયન યુઆન એટલેકે ૪૫૦ લાખ કરોડ રૂપિયા આસપાસ છે.
વ્યાજના દરમાં વધુ ઘટાડાથી બેંકો પર દબાણ વધશે કારણકે તેમનું માર્જિન જૂનના અંતે ૧.૪ ટકાના રેકોર્ડ તળિયે છે અને વાજબી નફાકારકતા જાળવવા માટે જરૂરી ગણતા ૧.૮ ટકની થ્રેશોલ્ડ લિમિટથી પણ નીચે છે. સરકારના સંભવિત નવા ફરમાનથી મકાનમાલિકોને વાર્ષિક વ્યાજ ખર્ચમાં ૩૦૦ બિલિયન યુઆન કરતાં વધુની બચત કરશે. ૩૦-વર્ષની ૧૦ લાખ યુઆનની ઉધાર લોનની માસિક ચૂકવણી લગભગ ૯ ટકા ઘટી જશે.