Site icon Shri Nutan Saurashtra

વાત્રક, હરણાવ, મેશ્વો નદીમાં પૂરની સ્થિતિ: Sabarkantha-Aravalli on high alert mode

Sabarkantha,તા.04

એક સપ્તાહના વિરામ બાદ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. ગઈ કાલ રાતથી વરસી રહેલાં ભારે વરસાદ બાદ જળાશયોમાં ભરપૂર પાણીની આવક નોંધાતાં વાત્રક, માઝૂમ, જવાનપુરા, હરણાવ, લાંક, વૈડી સહિત 7 જળાશયો હાઈએલર્ટ મોડ ઉપર મૂકાયા છે. સપ્ટેમ્બરની સ્થિતિએ રૂલ લેવલ જાળવવા જળાશયોના દરવાજા ખોલી પાણી નદીમાં છોડવામાં આવ્યુ છે. જેથી, કેટલાંક તાલુકાઓના નદી કિનારાના ગામોને સાવધ કરવામાં આવ્યા છે. એક સપ્તાહમાં વરસાદના તોફાની રાઉન્ડના કારણે ફરી નદી કિનારાના ગામો સાવધ કરવાની નોબત આવી છે.

ઓડિશાની ડિપ્રેશનની અસર હવે જિલ્લાના વાતાવરણમાં જોવા મળી છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ સોમવારની સમી સાંજથી કડાકા-ભડાકા સાથે વરસાદ વરસતાં જિલ્લામાં હવે અતિવૃષ્ટીની ચિંતા તંત્ર માટે પડકારરૂપ બની શકે છે. જિલ્લામાં સ્થાનિક ઉપરાંત ઉપરવાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હોવાથી જિલ્લાના વાત્રક, ગુહાઈ, માઝૂમ, હાથમતી, લાંક, જવાનપુરા, હરણાવ, મેશ્વો, વૈડી, ખેડવા, વરાંસી અને ગોરઠીયા જળાશયમાં 300 થી 24,000 ક્યુસેક સુધી પાણી આવક મંગળવાર સવારે 10 વાગ્યા સુધીમાં નોંધાઈ હતી.

જળાશયોમાં પાણીનો ધસમસતો પ્રવાહ શરૂ થતાં ડેમની રૂલ સપાટી જાળવવા માટે દરવાજા ખોલવાની પણ ફરજ પડી છે. જેના કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. હરણાવ જળાશયના ઉપરવાસમાંથી પાણીની આવક વધુ રહી છે, જેથી 225 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. જેના કારણે વિજયનગર, ખેડબ્રહ્મા તાલુકાના નદી કિનારાના ગામોને સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવી છે. જ્યારે વાત્રક જળાશયમાં પ્રતિકલાકે પાણીની વધતી આવકના કારણે 24,672 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતાં ઘોડાપૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

હાઈએલર્ટ જળાશય
પાણીની ટકાવારી
વાત્રક 95
માઝૂમ 90
જવાનપુરા 90
હરણાવ 97
લાંક 90
વૈડી 100

જળાશયોમાં પાણીની આવક

જળાશય
આવક (ક્યુસેક) જાવક (ક્યુસેક)
વાત્રક 24,672 24,672
ગુહાઈ 1535
માઝૂમ 2530 2530
હાથમતી 150
લાંક 289 289
જવાનપુરા 1200
હરણાવ 225 225
મેશ્વો 539
વૈડી 1529 1529
ખેડવા 360 360
વરાંસી 1500 1500
ગોરઠીયા 1500 1500

જિલ્લામાં વરસાદના નવા રાઉન્ડ સાથે જળાશયોમાં પાણીની ધસમસતી આવક શરૂ થઈ છે, જેના કારણે તંત્રને ગેટ ખોલીને પાણી છોડવાની ફરજ પડતાં નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી. વાત્રક જળાશયમાંથી 24,672 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતાં વાત્રક નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. વાત્રક નદી બેકાંઠે વહેતી થતાં અનેક લોકો નદીના જીવંત સ્વરૂપને જોવા માટે ઉમટ્યાં હતાં.

Exit mobile version