Mumbai,તા,25
ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે ફરી એકવાર વ્હાઈટ બોલ ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચવાની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા છે. જોકે તેણે એક શરત મૂકી છે કે હું માત્ર એક વ્યક્તિના કહેવા પર જ પરત ફરીશ. બેન સ્ટોક્સે સંકેત આપ્યા હતા કે તે ઇંગ્લેન્ડની મર્યાદિત ઓવરોની ટીમમાં વાપસી કરવા તૈયારી બતાવી છે. જોકે આ અહેવાલ આવતાની સાથે જ રોહિત શર્મા ચર્ચામાં આવી ગયો છે. કારણ કે તેણે કહેલી વાત સાચી ઠરી છે.
રોહિત શર્મા શું બોલ્યો હતો?
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને જ્યારે અઠવાડિયા અગાઉ એક પત્રકારે ટી 20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચવા અંગે સવાલ કર્યો તો રોહિત શર્માએ સ્પષ્ટ જવાબ આપતાં કહ્યું હતું કે આજકાલ ક્રિકેટ વર્લ્ડમાં સંન્યાસ એક મજાક બની ગયો છે. લોકો જાહેરાત કરે છે અને પછી પાછા રમવા આવી જાય છે. હાં, ભારતમાં આવું ખૂબ ઓછું જોવા મળ્યું છે પણ હું બીજા દેશોના ખેલાડીઓને જોઈ રહ્યો છું. તેઓ સંન્યાસની જાહેરાત કરી દે છે અને પાછા વાપસી કરીને ક્રિકેટ રમવા લાગે છે. અમે તો કન્ફ્યૂઝ થઇ જઈએ છીએ.
ગયા વર્ષે સ્ટોક્સે લીધી હતી નિવૃત્તિ
ગયા વર્ષે ભારતમાં રમાયેલા ODI વર્લ્ડ કપ બાદ સ્ટોક્સે વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. ઈજાના કારણે તે T20 વર્લ્ડ કપ 2024માં પણ રમ્યો નહોતો, પરંતુ હવે તેણે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
સ્ટોક્સે આ ખેલાડીની કરી પ્રશંસા…
2019 વર્લ્ડ કપ વિજેતા અને 2022 ટી-20 વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈંગ્લેન્ડ માટે ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરનાર બેન સ્ટોક્સ હજુ પણ ફિટ નથી, પરંતુ તેણે કહ્યું છે કે જો ટીમના મુખ્ય કોચ બ્રેન્ડન મેક્કુલમ ઈચ્છે તો હું વાપસી કરવા તૈયાર છું. વ્હાઈટ બોલની ટીમ નવી દિશામાં આગળ વધી રહી છે. બેન સ્ટોક્સે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની ત્રીજી વનડે દરમિયાન કહ્યું હતું કે અમે જોયું કે અનેક અદભૂત ખેલાડીઓ અમારી ટીમમાં સામે આવ્યા છે. તેમાંથી એક છે જેકબ બેથેલ, જે મને લાગે છે કે સુપરસ્ટાર બનશે.”