કોંગ્રેસની વોટબેંક ન બનતાં Kiran Rijiju ની મુસ્લિમોને ચિમકી

Chandigarh,તા.૭

હરિયાણા મોદી સરકારમાં વરિષ્ઠ મંત્રી અને સંસદીય કાર્ય મંત્રીની જવાબદારી સંભાળતા કિરેન રિજિજુએ હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી પહેલાં મોટી ચેતવણી આપી છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કોંગ્રેસ પાર્ટી પર હિન્દુઓમાં ભાગલા પાડવાનો અને મુસ્લિમોનું તુષ્ટીકરણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

પહેલાં તેમણે મુસ્લિમોને ચેતવણી આપી અને કહ્યું, ’મુસલમાનોને મારી ચેતવણી : કોંગ્રેસની વોટબેંક ન બનો!’ બીજી પંક્તિમાં તેમણે હિંદુઓ અને અન્યોને ચેતવણી આપતાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટીની ભાગલા પાડો અને રાજ કરોની નીતિનો શિકાર ન બનો.

રિજિજુએ ઈન્ટરવ્યુમાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ મુસ્લિમોનો વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે. કોંગ્રેસ પાર્ટી પણ ચૂંટણી દરમિયાન કહે છે કે તેની ૧૫ ટકા મુસ્લિમ વોટ બેંક અનામત છે. આ કોંગ્રેસની વિચારસરણી છતી કરે છે. કોંગ્રેસ પાર્ટી મુસ્લિમોને વોટબેંકના દૃષ્ટિકોણથી જુએ છે તે હકીકત છે. મુસ્લિમો માટે પણ આ મોટું નુકસાન છે.

તેમણે કહ્યું કે કોંગ્રેસની યોજનાનો એક ભાગ મુસ્લિમોને વોટ બેંક તરીકે રાખવા અને હિંદુઓમાં ભાગલા પાડવાનો છે. તેથી જ આ દિવસોમાં રાહુલ ગાંધીના મોઢામાંથી એસસી- એસટી, ઓબીસી જેવા શબ્દો નીકળી રહ્યાં છે. રાહુલ ગાંધીને એસસી, એસટી અને ઓબીસીની સમસ્યાઓની એબીસીડી પણ ખબર નથી. પરંતુ તેમના મોઢામાંથી આ સતત નીકળતાં રહે છે. તેમને એ જ શીખવવામાં આવ્યું છે. તેઓએ મુસ્લિમોને વોટબેંક બનાવી અને હવે હિંદુઓને પણ એસસી-એસટી અને ઓબીસીમાં વહેંચીને વોટ મેળવવા માંગે છે. તેનાથી દેશને મોટું નુકસાન થઈ શકે છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પાર્ટી આ દેશનાં ટુકડા કરવા માંગે છે.

કોંગ્રેસે અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ હેઠળ આટલાં વર્ષો સુધી શાસન કર્યું અને દેશને ગરીબ રાખ્યો. મુસ્લિમ અને બૌદ્ધ સમુદાયનાં લોકોને પછાત બનાવવાનું કામ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે. હું સમાજનાં દરેક વર્ગને અપીલ કરવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટી દ્વારા ગેરમાર્ગે ન દોરાય. કોંગ્રેસને વોટ આપવો એ સૌથી મોટી ભૂલ સાબિત થશે.

 

Leave a Comment